“નકલંક“ આખરે નકલંક રહી
(નકલંક, શ્રી મોહન પરમાર પ્ર.આ.૧૯૯૧)

“નકલંક” શ્રી મોહન પરમારની સુદીર્ઘ નવલિકા છે. તેના પ્રકાશનથી છે ક આજ સુધી એના સ્વરૂપ અને વિષય વસ્તુને લીધે તે ચર્ચામાં રહી છે. “નકલંક” ૩૩ પૃષ્ઠની લાંબી વાર્તા છે. તેમાં કેટલાંક વિવેચકોને દીર્ઘ નવલિકાના દર્શન પણ થયા છે અને તે રીતે મુલવી પણ છે.

આ વાર્તાના તાણા – વાણા કાંતિ – દીવા સાથે જોડાયેલા છે. કાંતિ મિલ બંધ થવાથી અમદાવાદથી પાછો ગામડે આવી પોતાનો પિતાનો વારસાગત વ્યવસાય સ્વીકારે છે. જો કે તેને આ ધંધા રસ ન હતો ,પરંતુ બીજો ઉપાય ન હોવાને લીધે તે મને ક મને આ વ્યવસાય સ્વીકારે છે. એવામાં એક દિવસ ગામના મુખી – કાંતિના જુના મિત્ર આવી પહોચે છે અને તેમને જે રોડ બનાવવાનો કંટરાટ રાખ્યો છે તે કામની જવાબદારી કાંતિ ને આપે છે. કાંતિ રાહત અનુભવે છે, આમ પણ કાંતિ વણાટ કામથી કંટાળ્યો હોય છે તેને લાગે છે કે રોડનું કામ છ એ ક મહિના સુધી ચાલે તેમ છે. ત્યારબાદ મિલ પણ ચાલુ થઇ જાય.

કાંતિનું મુખીના ઘેર આવવા જવાનું શરુ થાય છે. મુખીના પત્ની દીવા જેઓં કાંતિની સાથે માધ્યમિક શાળામાં સાથે ભણતા હતાં . એક દિવસ શાળામાં કાંતીએ દીવાનો આબાદ રીતે બચાવ કર્યો હતો .તે દિવસથી બને વચ્ચે સબંધો ઘણા વિકસ્યા હતાં .પરંતુ તે પ્રણય સુધી આગળ વધ્યા નહોતા. બંને સારા મિત્રો જ કહી શકાય.

દીવા અને કાંતિના આ જુના સ્મરણોને હવે લીલી કુપળ ફૂટે છે એટલું જ નહિ તેમાં ધીમે ધીમે મુખીની ગેર હાજરીમાં નવી ડાળીઓં પણ ફૂટે છે. તેવામાં એક દિવસ મુખીને બહાર જવાનું થાય છે અને નોકર પણ હાજર નથી. આ તક કોઈપણ હિસાબે દીવા જવા દેવા માંગતી નથી અને એટલે જ તે કાંતિ વહેલા મળશ્કે પોતાને ઘેર આવવાનું આમંત્રણ આપે છે.

આ બધી ઘટનાઓની વચ્ચે લેખકે આજુ બાજુના ગામનું સામાજિક વાતાવરણ પણ દર્શાવ્યું છે. વાર્તા જે સમયે લખાઈ છે અથવા વાર્તામાં જે સમય આલેખવામાં આવ્યો છે તે સમયે ગુજરાતમાં અનામત આંદોલન ચાલતું હોય છે. બીજી એક મહત્વની ઘટના લેખકે જે ગામમાં કાંતિ રહે છે તે ગામના વાતાવરણની કરી છે. મુખી જ્ઞાતીએ પટેલ છે. વણકર વાસમાં કોઈપણ સંકોસ વગર આવે છે. એટલુજ નહિ કાંતીને પોતાના ઘેર ખાટલે બેસાડે છે. ક્યાંય એવું નથી લાગતું કે ગામમાં દલિતો અને સવર્ણો વચ્ચે ભેદભાવ હોય. આજ વાતાવરણ કાંતિ માટે મનોસંઘર્ષ ઉભો કરે છે.

આ દલિત સર્જકની વાર્તા છે. વાર્તામાં વણકર વાસનો ઉલ્લેખ ન હોત તો વાર્તા દલિતવાર્તા છે એવું નામ ન આપ્યું હોત તો પણ ચલાવી શકાયું હોત. દીવા અને કાંતિ પોતાના લગ્ન જીવનથી ક્યાંય અતૃપ્ત છે તેવું નથી. બંનેના જીવન સભર છે. તેમ છતાં લેખકે એક બીજાને પ્રેમ કરતા બતાવ્યા છે અને શરીર સુખ માણવાની ઈચ્છા સુધી છે ક આગળ લઇ ગયા છે. દીવા કાંતિ આવે અને તેની સાથે જાતીય સબંધ બાંધી આનદ મેળવે એવા સ્વપ્નમાં છે ત્યારે જ તેને ન ગમતો પુરુષ સેન્ધો આવી દીવાની આબરૂ લુટે છે. તો આ બાજુ કાંતિ ભજનમાંથી પાછો આવી સાળ પર બેસી જાય છે. તેની પત્ની યાદ કરાવે છે કે તમારે તો વહેલા મુખીને ઘેર જવાનું હતું . તો કાંતિ કહે છે – “ બસ, નથી જવું. ક્યાંય નથી જવું. હું તો આજથી વણવાનો હવે .....” – કહીને કાંતિ “ સખી, સોહામ ઓહમની સત્તરમી કળા કોઈ જાણે રે .............” વાળું ભજન લલકારે છે.

કેટલાંક વિવેચકોને એવું લાગ્યું છે કે લેખકે કાંતીને નકલંક રાખીને દીવાને કલંકિત બનાવી છે. જે સમયે તે ઈચ્છિત પુરુષ સાથે શરીર સુખ ભોગવવાના સ્વપ્નાઓ જોઈ રહી હતી તે જ સમયે તેને ન ગમતા પુરુષ જોડે વાસનાનો ભોગ બનતી લેખકે કેમ દર્શાવી તે પ્રશ્ન થયો છે. પરંતુ આ માત્ર વારતા કે વાર્તા નથી ણ સામાજિક કથા પણ છે. કાંતિ ગમે તેમ તોય એ જાતિએ વણકર છે અને દીવા પટેલ. બંને વચ્ચે પ્રેમ થવો એ સાહજિક છે. પરંતુ સબંધો આટલી હદ સુધી આગળ વધે તો કોઈ સાંખી લેવા ત્યાર ન થાય. પછી કોઈ એવું વિચારવા ન બેસત કે દીવા એ સામેં ચાલી ને વહેલી પરોઢે કાંતિ ને પોતાને ઘેર બોલાવ્યો હતો. લોકો તો કાંતિ ને જ ગુનેગાર ગણત. કહેત પણ ખરા કે જે થાળી માં ખાધું તે માજ થુંક્યો. આખરે એની જાત પર ગયો ખરો. અથવા તો લેખકે દીવા અને કાંતિને ભેગા કરીને વાર્તા પૂરી કરી હોત તો પણ કોઈ વાંધો આવે તેવું ન હતું. પરંતુ અગાઉ કહ્યું તેમ વાર્તામાં આવતો અનામત આંદોલનનો ઉલ્લેખ ઘણી રીતે સૂચક છે. કાંતિ ને લાગે છે કે મારા લીધે કદાચ ગામની શાંતિ હણાય. સેંધા જેવા કેટલાય લોકો આવા બહાના હેઠળ દલિતોને મારી નાખે કે આંખોએ વાસ સળગાવી મુકે. આવું બધું ન બને એટલે કાંતિ પોતાની ઈચ્છાઓ સંકેલીને આખાય ગામ અને વસનું ભલું ઈચ્છવા મુખીને ત્યાં જવાનું ટાળીને સાળ પર વણાટ કરવા બેસી જાય છે. લેખકે માત્ર કાંતીને જ નહી આખા સમાજ ને કલંકિત થતો બચાવ્યો છે. અને પોતાનું સમાજમાં શું સ્થાન છે તેનું દર્શન પણ લોકોને કરાવ્યું છે.

પ્રા. દેવજી સોલંકી
શ્રી આર્ટ્સ કૉલેજ ઝીંઝુવાડા, જિ : સુરેન્દ્રનગર પીન : ૩૮૨૭૫૫
મો : ૯૪૨૯૫૧૧૫૬૪ ઈ-મેઈલ : devjibhais@yahoo.com