‘જીવતર’ આધેડ વયનાં પાત્રોનાં હૂંફાળા સંબંધોનું વેધક આલેખન

 

યોગેશ જોષી વર્ષોથી કવિતા. ટૂંકી વાર્તા, નિબંધ, જીવનચરિત્ર, બાળસાહિત્ય, અનુવાદ, સંપાદન આદિ વિવિધ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. ગુજરાત સાહિત્ય સભાના જાગરુક મંત્રી અને ‘પરબ’ સામયિકના તંત્રી તરીકેની તેમની સૂઝ-સજ્જતા ધ્યાનપાત્ર છે. તેમનું સાહિત્ય વિપુલ અને વૈવિધ્યસભર છે. કવિ અને નવલકથાકારથી જાણીતા આ સર્જક પાસેથી ‘સમુડી’ (૧૯૮૪), ‘જીવતર’ (૧૯૮૭), ‘નહીંતર’ (૧૯૯૧), ‘આરપાર’ (૧૯૯૨), ‘વાસ્તુ’ (૨૦૦૧), ‘ભીનાં પગલાં’ (૨૦૦૪) અને ‘અણધારી યાત્રા’ (૨૦૧૧) જેવી નવલકથાઓ પ્રાપ્ત થઈ છે.
‘જીવતર’ (૧૯૮૭) મૂળે તો, પુસ્તકકારે પ્રગટ થતાં પૂર્વે ધારાવાહીરૂપે ‘નવનીત સમર્પણ’ સામયિકમાં પ્રગટ થયેલી. એમની પ્રથમ નવલ ‘સમૂડી’ની જેમ અહીં પણ અઢાર પ્રકરણ અને એકસોપાંત્રીસ જેટલાં પૃષ્ઠો પર કથાની માંડણી થઈ છે. ‘સમૂડી’ની સાદ્યંત સફળતા પછી તરતમાં તો નવલકથા લખવા માટે કોઈ થીમ ન હતું એ વાતને લેખકે નિવેદનમાં નોંધ્યું છે તેમ, ‘હા, એક વાર્તા લખવાનું મનમાં હતું – નાનકડું ગામ. એક ડોસો. એક ડોસી. સામ સામે રહે. એકલાં. છતાં એકલતા – શૂન્યતાથી પીડાતાં ન હોય. ભરપુર ‘જીવતાં’ હોય. પ્રેમ કરતાંયે વિશેષ તો એકમેક સાથેના માનવતાભર્યા, હૂંફાળા સંબંધની વાત.’ આમ, કૃતિના કેન્દ્રમાં વૃદ્ધ સ્ત્રી-પુરુષના જીવતરની લાગણી સંગોપાયી છે. સર્જકે આયુષ્યના અવશેષે પહોંચેલા વૃદ્ધ સ્ત્રી-પુરુષની આ કથામાં એકમેકના માનતાભર્યા સંબંધને સંવેદનાત્મક સ્તરે રજૂ કર્યો છે.
‘જીવતર’ એ વિષય અને કલાવિધાનની દ્રષ્ટિએ ધ્યાન ખેંચે એવી સબળ કૃતિ છે. માનવીના મનમાં આકાર લેતી ઘટનાઓની સંકુલ ક્રિયા-પ્રતિક્રિયા મનોવૈજ્ઞાનિક સ્તર આલેખવા માટે જે કળાસૂઝ સર્જકમાં હોવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં છે એ વાત કથાના અનેક પ્રસંગો અને રેવામા અને માસ્તરના પાત્રોની સંવેદનામાંથી મળી રહે છે.
કથાનો આરંભ પ્રથમ પ્રકરણમાં છના જોશીનાં ભવિષ્યકથનથી થાય છે : ‘ચૌદસ-અમાસ ભારે સ. માસ્તર ચૌદસ-અમાસ કાઢસી તો પસ વોંધો નીં આવ’. (પૃષ્ઠ : ૩) વદની ચૌદસની અંધકારમય રાત્રિએ રેવામાની આશાનો અંતિમદીપ બુઝાઈ જાય છે. જેની સાથે એ સૌથી વધુ જીવ્યા છે એ મનુભાઈ માસ્તર આ રાત્રિએ અવસાન પામ્યા છે એ આ રચનાનો આરંભ છે : ‘ઓરડામાં ફાનસના ભપકવાના અવાજ સિવાય બધાં જ મૌન છે. ફાનસમાં પૂરવા માટે કેરોસીનનો શીશો લેવા રેવામા ઊભાં થયાં. પણ ત્યાં તો ભફક્ ભક્ ! ફાનસ હોલવાઈ ગયું.’ (પૃષ્ઠ : ૪) પોતાના સર્વ સ્વજનોને વિદાય આપવી પડી છતાં અડગ રહી શકેલા રેવામાને માસ્તરના ગયા પછી જીવતર આખાનો થાક એ સમયે લાગે છે.
ઓરડામાં મનુ માસ્તરનું શબ પડ્યું છે ને સામે રેવામા બેઠાં છે. ત્યાંથી વસ્તુત: કથાનો વિકાસ શરૂ થાય  છે ને સવારે માસ્તરના પુત્ર-પુત્રી (વિષ્ણુ-શારદી) આવે છે ને માસ્તરને સ્મશાને લઈ જવાય છે ત્યાં કથા વિરમે છે. આમ, સમયના આ બે બિંદુઓ-ક્ષણો વચ્ચે રાત્રિનો કાળમીંઢ અંધકાર માત્ર છે. થોડા પાડોશી સાથે રેવામા શબને જોતાં બેઠાં છે : ‘ગામનાં બધાંય ઘરોમાં ફાનસો હોલવાઈ ચૂક્યાં છે. તમરાં અને દેડકાં સિવાય આખુંયે ગામ, કૂતરાં, ઢોર-ઢાંખર, બારીઓ, બારણાં, નેવાં, છજા નીચે હારબંધ પારેવાં, અંધકારમાં ભળી જઈને અંધકાર થઊ ગયેલાં વૃક્ષો... બધાં જ ભરનિદ્રામાં.’ (પૃષ્ઠ : ૪) પણ હા, સફેદ ચાદર નીચે ચિરનિદ્રામાં પોઢી ગયેલા માસ્તરને જોતાં જોતાં જ રેવામા ગત દીર્ઘકાળને વાગોળતાં સ્મરણે ચડ્યાં છે. રેવામાની એ સ્મરણયાત્રાનું સઘન આલેખન નવલકથાનું નાભિકેન્ર્દ છે. રેવામાની આ સ્વપ્નસંવેદનાની અભિવ્યક્તિ અર્થે યોજાયેલી આત્મનેપદી કથનરીતિના આયોજનમાં, ગ્રામીણ પાત્રોનાં વ્યવહારવર્તન અને માનસની લાક્ષણિકતાઓને ઉજાગર કરતી તેમની તળપદી બોલીના વિનિયોગમાં લેખકની કળાકીય સજ્જતાની સબળ પ્રતીતિ મળે છે.
‘જીવતર’માં યોગેશ જોષીએ મનુ માસ્તર અને રેવાના મૂંગા પ્રેમને વ્યક્ત કર્યો છે. એથી બાહ્યજીવન (outer life) કરતાં આતરજીવન (Inner life) સંચલનોનું આલેખન સવિશેષ થતું રહ્યું છે. રેવામા પણ અતીતની સ્મૃતિઓ અને વર્તમાન જીવનની પરિસ્થિતિના અંશો સાથે ગૂંચવાય છે. વળી મનુમાસ્તર વિશિષ્ટ સ્થળ, કાળ અને પરિવેશના ચાલક પરિબળ છે. કથા અતીતમાં આવ-જા કરે છે. રેવામા મનુમાસ્તર સાથેના વિધ વિધ પ્રસંગો યાદ કરતાં રહે છે ને લેખક પણ વાચકને ભૂતકાળ ભણી લઈ જાય છે. સર્જકે સમાજનું વાસ્તવિક ચિત્ર આપણી સમક્ષ મૂકી આપ્યું છે.
મનુ માસ્તરે અને રેવામાએ લગ્ન પૂર્વે એકબીજાને જોયાં હતાં. પોતે યુવાન થઈ છે એની જાણ રેવલીને મનુડાની છરીની ધાર જેવી નજરથી જ થયેલી. જેમ કે : ‘દર્પણમાં એ અવારનવાર સ્તનનો ઉભાર જોતી ખરી, છતાં પોતે આટલી જુવાન થઈ છે એની જાણ તો મનુડાની નજર પડ્યા પછી જ થઈ.’ (પૃષ્ઠ : ૫૯) છેલ્લી અવસ્થામાં કથાનાયિકાનો આંતરસંઘર્ષ છતો થાય છે. ‘વાત્ ભલઅ જરીકે નોં થઈ. પણ એ વખતેય માસ્તર માટ્અ પોતાપણાનો ભાવ જાગ્યો’તો. પણ મનં મૂરખીનં એ વખતે કોંય હમજ નોં પડી.’ (પૃષ્ઠ : ૬૧) અહીં રેવાની ગૂઢ ઝંખનાનું આગવું રૂપ છતું થાય છે. આમ, સરજાતી વિષમ કરુણ પરિસ્થિતિનાં તે લાચાર સાક્ષી બની રહે છે. પણ ઘડીભર તેણે પોતાની પ્રણયની લાગણી જ ભયંકર આત્મવંચના કરવા પ્રેરે છે. જે સમયે રેવાની વાત મનુમાસ્તર સાથે છેડાયેલી ત્યારે રેવા ધડકી ઊઠેલી. પિતાને કહેવાનું મન થયેલું કે મનુડો ગમે છે’ પણ એ સમયની બલિહારી કે રેવા કશું કહી શકી નહીં. ત્યારે કઠોર વાસ્તવિકતાને સ્વીકારી લેવાનો રેવામાનો જીવનવિષયક દ્રષ્ટિકોણ પ્રગટ થાય છે.
રેવાના વિવાહ તો થયા મનુડાથીય વધુ પૈસાદાર રમણ સાથે. વિધિએ નક્કી કરેલા ભરથાર સાથે જિંદગી જીવીને આયખું પૂરું કરવાનું હોય. વિધિ સામે માનવી લાચાર છે એ સૂર રેવામાનાં જીવનસંઘર્ષમાંથી પ્રગટે છે. લેખકે કથાના ધ્યાનવર્તુળના કેન્દ્રમાં રેવામા, મનુમાસ્તર અને રમણની આંતરિક વેદના-સંવેદના જ રહી છે.
પણ સવિશેષ તો સસરાના મૃત્યુ બાદ બેજવાબદાર બનેલો રમણ દારૂ, જુગાર, અન્ય સ્ત્રી સાથેના સંબંધમાં રત રહેવા લાગ્યો. સામાજિક વિષમતામાં લાચાર બનેલી રેવાના ચિત્તના ઊંડાણમાં તુમુલ યુદ્ધ રચાય છે. રેવા પોતાના પતિને યોગ્ય માર્ગે વાળવા અથાગ પરિશ્રમ કરી ચૂકે છે છતાં રમણ સુધરતો નથી. તેના પ્રયત્નો બધા નિરર્થક નીવડે છે. રેવા-રમણના પ્રસન્ન દામ્પત્યમાં કશુંક ખૂટતું હોય એવું ભાવકથી અહીં પામી શકાય છે. પણ મનુ માસ્તર તો મનમાં ને મનમાં વિચારે છે : ‘બાપડી રેવાનો મેળો જ નહીં, જીવતર આખું બગડશે; રમણ જેવા હારે પનારું પડ્યું સ તે.’ (પૃષ્ઠ : ૩૨) રેવા સાથેના અનેક પ્રસંગે થયા કરતા મનુમાસ્તરના મનોમય સંવાદ internal dialoge નું આયોજન લેખકે એ રીતે કરેલું છે કે અતીત અને વર્તમાનની પળોમાં અનાયાસે આવન-જાવન થઈ શકે અને સમયનું મનોમય પરિમાણ Psychological derneetion સહજતયા સરજી શકાય. પાત્રોનામનોવ્યાપારોનું કુશળતાથી આલેખન કરવાની રીત કૃતિમાં કલાસત્વની વૃદ્ધિ કરે છે એ લેખકની એક લાક્ષણિકતા બની રહે છે.
મેળાનું વાતાવરણ રૂપ-રંગ સાથે જામ્યું છે. ચકડોળમાં પણ બેસવાનું મન મનુમાસ્તર ને રેવાને થયું છે. એથી ચકડોળમાં રેવા-મનુમાસ્તર જોડે બેસે છે. આમ, અહીંથી પરસ્પર એકબીજા પ્રત્યે વધુ આકર્ષણનું બીજ રોપાય છે. અહીંથી ‘જીવતર’ કૃતિની એક પ્રશિષ્ટ કથા આરંભાય-ઉમેરાય છે. રૂપના કટકા સમી રેવલીને મનુમાસ્તરે ચકડોળમાં પ્રથમ સ્પર્શ કર્યો અને એ સ્પર્શથી જાણે સ્વર્ગીય આનંદની અનુભૂતિ થઈ. પરંતુ પછી તો જીવતરના રણમાં તપવાનું જ હતું તો ! વાર્તામાં જ કેવી કરુણ વ્યંજના રહેલી છે.
અંતે મેળાની વાતની જાણ પતિ રમણને થતાં તે રેવલી પર વહેંમાય છે અને તેનું જીવતર ધૂળમાં રગદોળાય છે.
રેવાની મનોવ્યથા હ્યદયવિદારક બની રહે છે. રમણ શંકા-કુશંકા કર્યા કરે છે. રમણ તો રેવલીને મનુમાસ્તરને ઘરે જવાની મનાઈ ફરમાવી દે છે. રેવલી શારીરિક અને માનસિક યાતનાઓનો ભોગ બને છે. મનુમાસ્તર પ્રત્યે પ્રબળ આકર્ષણ હોવા છતાં પોતાના મનની વાત હોઠ સુધી લાવતી નથી. માથે હતું માત્ર દેવું ? અંતે નિરાધાર બનેલી રેવલીને ચાર-પાંચ જણાએ તો પરણવાની ઈચ્છા બતાવેલી પણ રેવાએ તો ઘસીને ના પાડી દીધેલી  : ‘મારે એક ભવમાં બે ભવ નથી કરવા’ કરુણતાની મૂર્તિ સમું સહનશીલ રેવાનું પાત્ર આ શબ્દોમાં તેના પતિપ્રેમની અભિવ્યક્તિ થઈ રહે છે. વિધવા થયા પછી રેવા કેટલી બધી બદલાઈ ગઈ ! એ પછી રેવા માસ્તરને ઘરે કામ કરે છે, અકાળે વિધવા બનેલી, પતિના ધંધાને કારણે દેવાદાર બનેલી રેવાને હવે તો એકમાત્ર સહારો પાડોશી મનુમાસ્તર જ હતા. અકાળે પત્ની વિજયાબેન મૃત્યુને ભેટ્યાં. પત્નીના અવસાન પછી માસ્તર ગામમાં એકલા જ રહેતા. આમ, એકાકી માસ્તર અને નિરાધાર રેવામા પાછલી જિંદગીના સુખદુઃખના સાથી બની જીવતરને સહ્ળ બનાવે છે. અને આજે તો મનુમાસ્તર પણ ચાલી નીકળ્યા. માસ્તરના મૃત્યુથી રેવામાનો છેલ્લો આધાર જાણે તૂટી ગયો. સ્મશાને લઈ જતા માસ્તરને જોતાં એ ક્ષણે રેવાનું ભીતરી ગૂઢ સંવેદન સ્વગત કેવું પ્રગટ થાય છે : ‘મારી ચૂડીઓ ફોડવાની વિધિ કેમ નોં કરાઈ ?!’ (પૃષ્ઠ : ૧૩૮) આ ઉક્તિ રેવામા-મનુમાસ્તરના ગહન સંબંધને મુખરપણે પ્રકટ કરી આપીને કથા વિરમે છે.
માસ્તરનું ચરિત્રચિત્રણ આ કૃતિનો એક આસ્વાદ્ય અંશ છે. માસ્તરની આંખ આગળ જ રેવા જીવતરનું આયખું જીવી જાણે છે. તે વેળાની વેદના-સંવેદનાની મધુર-કરુણ સ્મૃતિઓ, ભાવસંવેદનો ‘જીવતર’માં જુદા જુદા સ્તરે અવાંતરે પ્રગટ થતાં રહે છે. આ સંવેદનોનું નિરૂપણ પણ મર્મવેધક બન્યું છે. સામે પડેલું માસ્તરનું શબ અને પ્રગાઢ અંધકાર રેવામાને સ્મરણયાત્રાએ ચડાવે છે. એ જ તો છે કે આ સ્મરણયાત્રામાં આખાયે જીવતરની કથા રજૂ થાય છે. રેવામાના મનમાં ઉદ્ભવતા વિચારના બુદ્.બુદ્.ને મનહરશૈલીમાં આલેખતી કલમ સલામની અધિકારિણી છે.
લેખકે રેવામાના પાત્રના સંઘર્ષને તળપદી બાનીમાં રજૂ કરવાનો એક સમર્થ પ્ર.યાસ કર્યો છે..  ઘરમાં મનુમાસ્તરે દેહ છોડ્યો ત્યારે રેવામાના ચિત્તમાં આત્મવંચના વમળ સતત હિલ્લોળાય છે. આ રીતે આદિથી અંત સુધી રેવાના ચિત્તમાં જે આંતરસંઘર્ષ ચાલ્યો છે એ જ આ અભિવ્યક્તિનું નિમિત્ત છે. એ સમયનું મનોમય પરિમાણ-Psychological dernention સહજતયા સર્જક સર્જી શક્યા છે. એક આત્મજનના મૃત્યુ સન્મુખ કહેવાતી આ કથામાં મૃત્યુનો પ્રભાવ આખી કથા પર છવાતો રહ્યો છે. રેવામાના ઝોકા-ઝબકાં વચ્ચે શબની આસપાસની નાની-મોટી હિલચાલ લેખક વર્ણવતા રહ્યા છે. જે કે મનુમાસ્તર અને રેવામાની એકલતા સર્જવા માટે કથામાં પાંચ-પાંચ મૃત્યુના પ્રસંગોનું નિરૂપણ કથામાં બોજ રૂપ લાગે છે.
કૃતિનો વિષય અને આશય નિરાળો છે. વૃધ્ધ જીવતરમાં ચાલતા આરોહ-અવરોહ અને એના નિજી જીવનમાં ડોકિયું કરાવવાનો લેખકનો ઉપક્રમ ઠીકઠીક સફળ રહ્યો છે. રેવામાની પ્રત્યેક ક્રિયામાં લેખકની કથનશૈલી નમૂનારૂપ બની છે, જે ચરિત્રલેખનશક્તિનો અહેસાસ કરાવે છે. રેવામામાં કશુંક ખુટતું હતું અને તે કશુંક ઝંખતાં હતાં જે એકલતાને અંતે ભાવક પામી શકે છે. અનુભૂતિની, સંવેદનની સક્ષમ રજૂઆત વાચકના અંતરની વીણાના તાર ઝણઝણાવી જાય છે.
રેવામા અને મનુમાસ્તરનો સાત્વિક પ્રેમ છેક સુધી અતૂટ જળવાઈ રહે છે. રેવામાનું પાત્ર વ્યથાથી લથબથ એવા કરુણરસનો અનુભવ કરાવનારું છે. સ્નેહનું કરુણ છતાંય મંગલ પરિણામ વાચકના અંતરને ઊંડાણથી સ્પર્શી જાય છે. જીવનના અનેક રંગઢંગ જોઈ આયુષ્યના અંતકાળે ઊભાં રહેલાં રેવામા સ્મરણોની રઝળપાટે એવાં તો ચડ્યા છે કે જીવનની લીલા તેમને અનેક કારમા ઘા આપે છે, છતાં એ તો કહે છે : ‘દુઃખ વનાનું તો જીવતર હો ? ’ દુઃખનેય જીવતરના ભાગરૂપે સ્વીકારી લીધું છે એમ રેવામા આખા જીવતરનો આંટો વાળી લે છે. વિષય, રજૂઆત અને રેવામાનું ચરિત્ર –એમ અનેક બાજુએથી સર્જકકર્મ ખરે જ ખીલી  ઊઠ્યું છે. આ ઉપરાંત રમણ, મનુમાસ્તર, વિજ્યાબેન, ચંદુ, અમથો વગેરે પાત્રો રેવા સાથે વારાફરતી કોઈ ને કોઈ રીતે સંડોવાતા રહે છે અને એમાંથી નવલકથાનું સૂત્ર બરાબર વિકસે-વિસ્તરે છે. આમ, ‘જીવતર’ને સ્નેહની મર્મવિદારક કથા યથાર્થ રીતે કહી શકાય એમ છે. છતાં લેખકે તો પ્રેમનું નામ ક્યાંય કશે જ આપ્યું નથી. અહીં પ્રેમ કરતાંય એકમેક સાથેના માનવતાભર્યા હૂંફાળા સંબંધના વાત વર્ણવી છે. એમાં તીવ્રતાની સાથે સચ્ચાઈ તો છે જ. પણ લાગણી નિમિત્તે તો એ સમસ્ત સમાજની એ સંવેદનકથા બની રહે છે. ઉદ્દાત પ્રેમ, રાગદ્વેષ, અંધશ્રદ્ધાભરી માન્યતાઓનું-લોકવ્યવહારનું લેખન અસરકારક રીતે નવલકથામાં વ્યક્ત થયું છે. ‘જીવતર’ ગ્રામપ્રદેશના વાતાવરણ વચ્ચે મહોરતી કથા છે, જે તળપદા જાવનથી વાચકને પરિચિત કરાવે છે.
લગ્નપ્રસંગનું વર્ણન, મેળાનું વર્ણન, રેવલીની યુવાવસ્થાનું વર્ણન, પતિ રમણના નશાનું વર્ણન ખરે જ આકર્ષણ રૂપ છે. એક રીતે પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ના કેટલાક પ્રસંગો એક યા બીજી રીતે કૃતિમાં અલપઝલપ શા પડઘાયા કરે છે :
  • એક જ મહોલ્લામાં રેવા-મનુમાસ્તરનું સામસામે રહેવું.
  • મેળામાં-ચકડોળમાં રેવા-માસ્તરનું કાનજી-જીવી જેમ સાથે ફરવું-બેસવું.
  • પૂર્વ પરિચય – આકર્ષણ હોવા છતાં રેવા-મનુમાસ્તરનાં બીજે લગ્ન થવાં.
  • વિધવા રેવાની અને જીવીની એક જ સરખી ઉક્તિ : ‘મારે એક ભવમાં બે ભવ નથી કરવા.’
‘સમુડી’માં પ્રભાવકરૂપે જોવા મળતી લેખકની ભાષાશૈલી, વર્ણનશક્તિ અહીં પણ નોંધપાત્ર રહી છે. ચરિત્ર (Character)નું મૂલ્ય વિશેષ પ્રભાવી છે. યોગેશ જોષીની કલમે તો રેવામા અને મનુમાસ્તરનાં પાત્રોને સાહિત્યમાં સદાને માટે અમર કરી દીધાં છે. રેવામા તો વાચક સમક્ષ કેટકેટલાં રૂપે વિલસે છે ! બિનજરૂરી વિસ્તાર ટાળી પ્રસંગને ક્યાંથી ઉપાડવો, ક્યાં અટકાવવો, પ્રસંગ સંદર્ભે રહેલા પાત્રસંવેદનને સહજ રીતે કેવી રીતે ઉપસાવવું એ સર્જક યોગેશ જોષીની પક્વ સૂઝનું પરિણામ છે એવું ચોક્કસપણે કહી શકાય એમ છે.
મેળો-ચકડોળ રેવા-મનુમાસ્તર (જીવી-કાનજી)ના જીવતરને ફેરવે છે. એથી તો ‘જીવતર’ નવલકથા પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’નું સ્મરણ કરાવે છે. આમ, પુરોગામીઓ અને સમકાલીનોની કૃતિઓનો પ્રભાવ ‘જીવતર’ વર્તાતો હોવા છતાં તે એક જુદેરા માર્ગની પ્રવાસી છે એવું વાચકને લાગ્યા વિના રહેતું નથી.


ડૉ. ભીખાભાઈ પટેલ, મુ. નવા કલ્લેકા, પો. ચિબોડા, તા. ભિલોડા, જિ. સાબરકાંઠા, પીન: ૩૮૩૨૪૫
000000000

 

Home || Editorial Board || Archive || Submission Gude || Feedback || Contact us